બે વાર પરણેલાને વેવાણ સાથે પ્રેમઃ બંનેનો આપઘાત

Wednesday 17th June 2020 06:31 EDT
 

હિંમતનગરઃ થિંસારાન ગામમાં રહેતા ૪૧ વર્ષના જયંતી ઠાકોર લગ્ને લગ્ને કુંવારા હતા. પહેલાં લગ્નથી એક દીકરો હતો અને થોડા સમયમાં રંગની મિજાજના જયંતીને બીજી એક સ્ત્રી સાથે પ્રેમ થયો હતો. એ પછી તેણે ગામની પંચાયતમાં છૂટાછેડા પણ લીધા. એ પછી કોર્ટમાં છૂટાછેડા લીધા. બીજી વખત લગ્ન કર્યાં અને પત્નીને ઘરે લઈ આવ્યા. આ દરમિયાન એની પહેલી પત્નીથી થયેલો દીકરો મોટો થઈ ગયો હતો. બીજી પત્નીથી એને એક દીકરી પણ હતી. દીકરો ૨૧ વર્ષનો થયો એટલે આ રંગીન મિજાજના જયંતીએ એની સગાઈ જાતિની એક છોકરી સાથે કરાવી. આશિક મિજાજનો જયંતી વારંવાર પોતાના વેવાઈ - વેવાણને મળવા જતો હતો. તેમાં વેવાણ સાથ આંખ મળી ગઈ. બે લગ્ન કરીને નહીં ધરાનાર ૪૧ વર્ષના જયંતીને એના દીકરાની સાસુ જાગૃતિની સાથે પ્રેમ થઈ ગયો.

બંને એવા તો પ્રેમમાં પડ્યા કે સાથે જીવવા અને મરવાના કોલ દઈ દીધાં. બંને ગામ છોડીને એકવાર તો ભાગી પણ ગયા હતા. જોકે લોકડાઉનના કારણે દૂર નહીં જઈ શકાતાં બંને પરત આવી ગયા હતા. ગામમાં આ વાત ફેલાઈ જતાં બંને ફરીથી ભાગી ગયાં હતાં. એ પછી બંનેને એવું લાગ્યું કે બંને સાથે જીવી શકે એમ નથી એટલે ખેડબ્રહ્મા પાસેના વાદળી ગામમાં બંનેએ ગળે ફાંસો ખાઈ લીધો અને આપઘાત કરી લીધો. સાબરકાંઠા પોલીસે કહ્યું કે એમને ગામના જંગલમાંથી બંનેના મૃતદેહો મળ્યા હતા. એમના પાસેથી મળેલા ફોન પરથી એમના ગામના સરપંચનો સંપર્ક કરતા ઓળખ થઈ છે અને પ્રેમને અંજામ નહીં મળવાને કારણે બંનેએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક જણાયું છે.




to the free, weekly Gujarat Samachar email newsletter